યશાયા. 3. જુઓ, સૈન્યોનો પ્રભુ યહોવા યરૂશાલેમમાંથી તથા યહૂદામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઇ લેનાર છે; તેમના વીરપુરુષો અને તેમના યોદ્ધાઓ, તેમના ન્યાયાધીશો અને તેમના પ્રબોધકો, તથા વડીલો; સેનાનાં સેનાપતિઓ, સરકારના નેતા, સલાહકાર અને કુશળ કારીગરો તેમજ જાદુગરો એ બધાને તે લઇ લેનાર છે. “તે છોકરાઓને તેમના અધિકારીઓ ઠરાવશે, અને નાના બાળકો તેમના પર શાસન કરશે. પડોશીઓ એકબીજા પર જુલમ કરશે. જુવાનો વૃદ્ધોની સામે વિદ્રોહ કરશે. ઉતરતી કક્ષાના લોકો માણસોની અવગણના કરશે.” એવો સમય આવશે જ્યારે માણસ પોતાના પિતાના ઘરમાં પોતાના ભાઇને પકડીને કહેશે કે, “તારી પાસે તો વસ્ત્ર પણ છે; ચાલ, તું અમારો આગેવાન થા અને આ ખંડેરના ઢગલા ઉપર રાજ્ય કર.” ત્યારે તે બોલી ઊઠશે, “હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમાં નથી ખાવાનું કે નથી પહેરવાનું; તમે મને લોકોનો આગેવાન ન બનાવશો.” યરૂશાલેમ ચોક્કસ રીતે નાશ પામશે કારણ કે યહૂદાના લોકો પોતાની વાણીથી અને કરણીથી યહોવાની વિરુદ્ધ બોલ્યા છે. અને તેમને માન આપતા નથી; તેઓ તેની પવિત્ર હાજરી છતાં વિદ્રોહી બન્યા છે. તેઓના ચહેરા જ તેમની વિરુદ્ધ સાક્ષી પૂરે છે; તેઓ સદોમના લોકોની જેમ પોતાના પાપનું પ્રદર્શન કરે છે. તેઓ પાપને છુપાવતાં નથી; તેમનું ભવિષ્ય ભયંકર છે અફસોસ! તેમણે પોતે જ આફત વહોરી લીધી છે. ન્યાયીને માટે સર્વ સારું થશે. માટે તેને કહે કે, “તારું ભલું થશે. તને તારા સારા સુકૃત્યોનો બદલો મળશે જ!” પણ દુષ્ટ માણસને કહે; “દુષ્કૃત્યોના કરનારા દુ:ખી થશે, તેમનું અકલ્યાણ થશે, તેઓ તેમના હાથે કરેલાં કૃત્યોનું ફળ ભોગવશે.” મારા લોકો પર બાળકો અન્યાય કરે છે અને સ્ત્રીઓ તેમના પર રાજ્ય કરે છે. અરે મારા લોકો, તમારા આગેવાનો તમને ખોટે માગેર્ દોરે છે, જેથી તમને ખબર પડતી નથી કે કયે રસ્તે જવું. યહોવા અદાલત ભરવાને તૈયાર થયા છે; અને પ્રજાઓનો ન્યાય તોળવા ઊભા છે. સૌ પ્રથમ તે વડીલો તથા રાજાઓ પર ગુસ્સો ઠાલવશે. કારણ કે તેઓએ ગરીબો વિરુદ્ધ લાંચ લીધી છે. “તેઓએ ગરીબ ખેડૂતોને લૂંટીને પોતાના ભંડારો ભર્યા છે. મારા લોકોને કચડી નાખવાનો અને ગરીબોના ચહેરાને ધૂળમાં રગદોડવાનો તમને શો અધિકાર છે?” આ યહોવા મારા માલિક સૈન્યોના દેવનાં વચન છે. વળી યહોવા કહે છે, “સિયોનની પુત્રીઓ ઘમંડી થઇ ગઇ છે! તેઓ ઊંચી ડોક કરીને, રમતિયાળ આંખોથી ચારેબાજુ જોતી અને રણકતા ઝાંઝરને ઝમકાવતી લયમાં ચાલે છે.” તેથી મારા માલિક યહોવા સિયોનની પુત્રીઓના માથાને ઊંદરીવાળાઁ કરી નાખશે. તેઓના માથા બોડાં કરી દેશે, અને તેઓના પાપ ઉઘાડાં પાડશે. પછી માલિક તેઓના માથાં, પગ, તથા ગળા ફરતે પહેરવાના સર્વ આભૂષણો લઇ લેશે; ગળામાં તથા હાથ પર પહેરવાનાં ઘરેણાં, બુટ્ટી, પોંચી, દુપટ્ટા; માથા પરના રૂમાલ, બાજુબંધ પગનાં ઝાંઝર, રેશમી કમરપટ્ટા, સુગંધી દ્રવ્યો, માદળિયાં, વીંટીઓ, વાળીઓ, સુંદર વસ્ત્રો, ઝભ્ભાઓ, ટોપીઓ, અને બુરખાઓ, અલંકૃત પર્સ, કિંનારવાળા કપડાં, મલમલના કપડાં. પછી સુગંધને બદલે દુર્ગંધ, કમરબંધને બદલે દોરડું, સુંદર અંબોડાને બદલે તાલ, કીંમતી વસ્ત્રને બદલે ચીંથરો, અને સુંદરતાને બદલે કુરુપતા રહેશે. સિયોનનગરીના પુરુષો તરવારનો ભોગ થઇ પડશે. એના વીર યોદ્ધાઓ રણમાં ખપી જશે. પછી એના દરવાજા પણ આક્રંદ કરશે અને મરશિયા ગાશે; અને એ નગરીની દશા સર્વસ્વ ગુમાવીને ભોંય પર બેઠેલી સ્ત્રીના જેવી થશે.