નીતિવચનો. 31. માસાઅ પાસેથી રાજા લમૂએલના નીતિવચનો જે તેને તેની માતાએ શીખવાડયા હતાં: ઓ મારા પુત્ર, ઓ મારા ગર્ભના દીકરા, હે મારી પ્રતિજ્ઞાઓના દીકરા, છે. તારી શકિત સ્ત્રીઓ ઉપર ન ખચીર્શ, તેમ તારી સત્તા એ રાજાઓનો નાશ કરનારા ઉપર ન વાપરીશ. દ્રાક્ષારસ પીવો તે રાજાનું કામ નથી, ઓ લમૂએલ; દ્રાક્ષારસની પાછળ ઝૂરવું એ રાજકર્તાનું કામ નથી. કારણ કે પીવાને લીધે તેઓ પોતાના નિયમો ભૂલી જાય છે અને કચડાયેલાઓને નિષ્પક્ષન્યાય આપી શકે નહિ. જેઓ મરવાની અણી પર હોય તેને દ્રાક્ષારસ, અને જેઓ દુભાયેલા હોય તેને દ્રાક્ષારસ આપવો. તેઓ દ્રાક્ષારસ પી શકશે અને પોતાની ગરીબી ભૂલી જશે અને પોતાનાં દુ:ખોને સંભારશે નહિ. જે પોતા માટે બોલી શકતો નથી તેને માટે તું બોલ અને તું નિરાધારોના હકનો પક્ષ કર. અને તેનો સાચો ન્યાય કર, દીનદુ:ખીઓના અને જરૂરતમંદનાં હક્કનું રક્ષણ કર. e સદગુણી પત્ની કોને મળે? હીરામાણેક કરતાં પણ એનું મૂલ્ય વધારે છે. તેનો પતિ તેના પર પૂરો વિશ્વાસ રાખે છે, અને તેને સંપતિની કોઇ ખોટ નથી. તે જીવનભર પોતાના પતિનું ભલું જ કરે છે, કદી ખોટું કરતી નથી. તે ઊન અને શણ ભેગું કરે છે અને તેને ખંતથી પોતાના હાથે કાંતવામાં આનંદ માણે છે. તે વેપારીના વહાણ જેવી છે, તે દૂરથી પોતાનું અન્ન લઇ આવે છે. ઘરનાં સર્વને માટે ખાવાનું તૈયાર કરવા તે પરોઢ થતાં પહેલાં ઊઠી જાય છે, અને તેની દાસીઓ માટે દિવસભરના કામનું આયોજન કરે છે. તે બહાર જાય છે, ખેતર તપાસે છે અને ખરીદે છે. પોતાના નફામાંથી તે પોતાના હાથો વડે તે દ્રાક્ષની વાડી રોપે છે. તે ખડતલ અને ભારે ઉદ્યમી છે. તે કમર કસીને કામ કરે છે. તે પોતાના વેપારના નફાનો ખ્યાલ રાખે છે. તેથી રાતભર તેનો દીવો હોલવાતો નથી. તે એક હાથે પૂણી પકડે છે ને બીજે હાથે રેંટિયો ચલાવે છે. તે ગરીબોને ઉદાર મને આપે છે અને દીનદુ:ખીને છૂટે હાથે મદદ કરે છે. તેનાં ઘરના સભ્યો માટે તેને શિયાળાની બીક નથી. તેનાં આખા કુટુંબે ઊનનાં કિરમજી વસ્ત્ર પહેરેલાં છે. તે પોતાને માટે રજાઇઓ બનાવે છે; તેનાં વસ્ત્રો ઝીણા મલમલનાં તથા જાંબુડા રંગના છે. તેનો પતિ નગર દરવાજે આદર પામે છે અને દેશનાં મુખ્ય આગેવાનોમાં તેની ઊઠબેસ છે. તે વસ્ત્રો અને કમરબંધ વણીને વેપારીઓને વેચેછે. શકિત અને પ્રતિષ્ઠા તેના વસ્ત્રો છે. તે ભવિષ્ય વિષે ચિંતિત નથી. તેને વૃદ્ધાવસ્થાનો ડર નથી. તેના મોઢામાંથી જ્ઞાનની વાતો નીકળે છે. નમ્ર સૂચનો તેની જીભમાંથી નીકળે છે. તે પોતાના ઘરમાં બધા કામની દેખરેખ રાખે છે. અને તે કદી આળસ કરતી નથી. તેનાં સંતાનો જીવનમાં ઊંચે ઊડે છે, અને તેને ધન્યવાદ આપે છે. અને તેના પતિ તેના વખાણ કરે છે અને પ્રશંસા કરતાં કહે છે કે, જગતમાં ઘણી સદાચારી સ્ત્રીઓ છે, પણ તું તે સર્વ કરતાં ઉત્તમ છે. લાવણ્યામક છે, અને સૌદર્ય ક્ષણિક છે. પરંતુ યહોવાનો ડર રાખનાર સ્ત્રીની પ્રંશસા થશે. તેના કામની પ્રસંશા કરો અને ભલે તે તેને નગર દરવાજે પ્રતિષ્ઠા અપાવે.