ગીતશાસ્ત્ર. 6. હે યહોવા, તમારા ક્રોધમાં, મને ધમકાવશો નહિ, અને તમારા રોષમાં, મને શિક્ષા કરશો નહિ. હે યહોવા, મારા પર દયા કરો, કારણ, હું માંદો અને દુર્બળ છું. હે યહોવા, મને સાજો કરો, કારણ, મારા હાડકાં બહુ દુ:ખે છે. હું ઘણો ભયભીત છું; મારું મન ભય અને અતિ વ્યથાથી ભરાઇ ગયું છે. હે યહોવા, મને મદદ કરવામાં ક્યાં સુધી વિલંબ કરશો? હે યહોવા, પાછા આવો, મારો જીવ બચાવો. કરી દયા દાખવી મને મરણથી બચાવો. લોકો પોતાની કબરોમાં તમને યાદ કરતાં નથી, મૃત્યુની જગાએ કોઇપણ તમારી સ્તુતિ કરતું નથી. આખી રાત પ્રાર્થના કરીને અને નિસાસા નાખીને હું નિર્બળ થયો છું, રોજ રાત્રે મારા આંસુઓથી મારું બિછાનું ભીંજવું છું. મારા શત્રુઓએ મને આપેલ કષ્ટોને લીધે શોકને કારણે રૂદનથી મારી આંખો દુર્બળ બની ગઇ છે. ઓ ભૂંડુ કરનારાઓ, મારાથી બધા દૂર થઇ જાઓ. કારણ, યહોવાએ મારા વિલાપનો સાદ સાંભળ્યો છે. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, યહોવા મારી સર્વ પ્રાર્થનાઓ માન્ય કરશે. મારા બધા શત્રુઓ ભયભીત અને નિરાશ થશે. ઓચિંતા કઇ થશે અને તેઓ બધા લજ્જિત બની ચાલ્યા જશે.