અયૂબ. 37. “વીજળી અને ગર્જના મને બીવડાવે છે. મારું હૃદય મારી છાતીમાં ધડકારા કરે છે. દેવની ગર્જના તથા તેના મુખમાંથી નીકળતી વાચા ધ્યાન થી સાંભળ. આખા આકાશને તે વીજળીથી ઝળકાવે છે, એ ધરતીના એક છેડાથી બીજા છેડા સુધી ફરે છે. વીજળીનો ચમકારો થાય ત્યાર પછી દેવની ગર્જનાના અવાજ સાંભળી શકાય છે, દેવ તેના મહત્વથી ગર્જના કરે છે. જ્યારે વીજળી ચમકે છે, દેવનો અવાજ ગજેર્ છે. તેમની ગર્જનાનો અવાજ ભવ્ય હોય છે. જે મહાન કૃત્યો કરે છે જે આપણે સમજી શકતા નથી. દેવે બરફને કહ્યું, ‘પૃથ્વી પર પડો’ દેવે વરસાદને કહ્યું, ‘પૃથ્વી પર મૂશળધાર વરસો.’ અને આ રીતે એ માણસોને કામે જતાં અટકાવે છે, જેને લીધે તેઓ સમજશે કે તે શું કરી શકે છે. ત્યારે પશુઓ તેમની ગુફામાં ભરાઇ જાય છે અને એમાં પડ્યાં રહે છે. દક્ષિણ દિશામાંથી વંટોળિયો આવે છે, ઉત્તર દિશામાંથી ઠંડા પવનો ઊતરી આવે છે. દેવના શ્વાસથી હિમ બને છે, અને સમુદ્રો થીજી જાય છે. તે ધાડા વાદળોને પાણીથી ભરી દે છે અને તેમાં વીજળીઓ ચમકાવે છે. દેવ વાદળોને આખી પૃથ્વી પર વિખેરાઇ જવાનો આદેશ આપે છે. વાદળો દેવની આજ્ઞા પ્રમાણે કરે છે. દેવ પૂર લાવી લોકોને શિક્ષા કરવા અથવા તો પાણી લાવી પોતાનો પ્રેમ દર્શાવવા વાદળો બનાવે છે. “હે અયૂબ, સાંભળ, જરા થોભ, અને દેવના અદ્ભૂત કાર્યોનો વિચાર કર! દેવ વાદળોને કેવી રીતે નિયંત્રણમાં રાખે છે અને વાદળોમાંથી વીજળીને કેવી રીતે ચમકાવે છે એ શું તું જાણે છે? તે કેવી રીતે હવામાં વાદળાંને અદ્ધર સમતુલીત રાખે છે તે તું જાણે છે? વાદળો દેવના અદભૂત સર્જનોનું એક દ્રષ્ટાંત છે અને દેવ તેઓ વિષે સર્વ જાણે છે. પણ અયૂબ, તું આ બાબતો જાણતો નથી. તું એટલુંજ જાણે છે કે તને જ્યારે પરસેવો થાય ત્યારે તારા કપડાં તારી ચામડી ને ચોંટી જાય છે. અને જ્યારે દક્ષિણ દિશામાંથી હુફાળો પવન વાય છે ત્યારે બધું શાંત અને સૂમસામ થઇ જાય છે. શું તમે પથરાયેલા આકાશને ચકચકીત કરેલા પીતળની જેમ ચમકીલુ બનાવામાં દેવને મદદ કરી શકશો? “અયૂબને કહેવા દો કે અમારે દેવને શું કહેવું! અમારા માં અંધકાર છે! અમે એની સાથે દલીલો કરી શકતા નથી. હું દેવને કહીશ નહિ કે મારી ઇચ્છા તેની સાથે બોલવાની હતી. એતો પોતેજ પોતાનો વિનાશ માગવા જેવું થશે. હવે પવને આકાશને ચોખ્ખું કર્યુ છે અને ત્યાં એટલું બધુ અજવાળું છે કે અમે સૂર્ય સામે જોઇ શકતા નથી. તે જ રીતે આકાશમાંથી આપણી ઉપર આવતા અને આંખોને આંજી દેતા દેવના ભવ્ય પ્રતાપ સામે પણ આપણે જોઇ શકતા નથી. સર્વસમર્થ દેવ મહાન છે! આપણે તેને સમજી શકતા નથી. દેવ ખૂબજ શકિતશાળી છે પણ તે આપણી સાથે ન્યાયી છે. આપણને નુકસાન પહોચાડવું દેવને ગમતું નથી. એ કારણથી લોકો દેવનો આદર કરે છે. પણ જે અભિમાની છે અને પોતાની જાતને વિદ્વાન માને છે, દેવ તે લોકોને માન આપતા નથી.”