અયૂબ. 20. પછી નાઅમાથી સોફારે પ્રત્યુત્તર આપ્યો: “હવે હું અકળામણ અનુભવું છું અને જવાબ આપવાને અધીરો બની ગયો છું. તમે તમારા જવાબોથી અમારું અપમાન કર્યું! પણ હું ચાલાક છું અને તને કેવી રીતે જવાબ આપવો તે જાણું છું. “શું તને ખબર નથી કે, પ્રાચીન કાળથી, એટલે કે મનુષ્ય પૃથ્વી પર આવીને વસ્યો ત્યારથી દુષ્ટ લોકોની કીતિર્ ક્ષણભંગુર છે, તથા નાસ્તિકનો આનંદ ક્ષણિક છે? એનું ઘમંડ ભલેને આકાશ જેટલું ઉંચુ થાય, એનું મસ્તક ભલેને વાદળોને આંબી જાય; પણ એ પોતાના જ વિષ્ટાની જેમ હંમેશને માટે નાશ પામે છે. જેમણે એને જોયો છે તેઓ પૂછે છે; ‘તે ક્યાં છે?’ સ્વપ્નની જેમ તે અદ્રશ્ય થઇ જશે. રાત્રિના સંદર્શનની જેમ તે અદ્રશ્ય થઇ જશે. જેણે તેને જોયો હતો, તે તેને ફરી કદી જોઇ શકશે નહિ. તેનું કુટુંબ તેની સામે ક્યારેય નહિ જોવે. દુષ્ટ માણસનાં સંતાનો એ ગરીબ પાસેથી જે લીધું હતું તે પાછું આપશે. તે જ્યારે જુવાન હતો, તેના હાડકા મજબૂત હતા. પણ તેના બાકીના શરીરની જેમ, તેઓ ધૂળમાં મળી જશે. “તેણે પોતાની દુષ્ટતાના સ્વાદમાં આનંદ માણ્યો છે. દુષ્ટતાને તેણે પોતાના મુખમાં ધીમે ધીમે ઓગળવા દીધી છે. દુષ્ટ માણસ અનિષ્ટ ને માણે છે. તે તેનાથી છૂટવા માગતો નથી. તે તેના મોઢામાં સાકરના ટૂકડા જેવું છે. પરંતુ તેનાં પેટમાં એ અનિષ્ટ ઝેરમાં બદલાઇ જશે. તે તેની અંદર કડવા ઝેર જેવું થઇ જશે, સાપના ઝેર સમાન. એણે જે ધનસંપતિ ગળી ગયો છે તે એણે ઓકી નાખવી પડે છે. દેવ એનાં પેટમાંથી એ કઢાવે છે. એણે જે શોષી લીધું હતું તે સાપનું ઝેર હતું. સાપનો એ ડંખ એને મારી નાંખે છે. તેણે હડપ કરી લીધેલી વસ્તુઓ તેને આનંદ આપશે નહિ, તેને દૂધ અને મધની નદીઓનો આનંદ મળશે નહિ. એણે મહેનતથી જે મેળવ્યું છે તે ભોગવ્યાં વિનાજ એને પાછું આપવું પડશે. જે ધનસંપતિ એ કમાયો છે તે એ માણી શકશે નહિ. કારણકે એણે ગરીબોને રંજાડ્યાં છે ને તરછોડ્યાં છે, બીજાના બાંધેલા ઘર પચાવી પાડ્યાં છે. “તે કદી ધરાયો નથી. તેની ધનસંપતિ તેને બચાવી શકશે નહિ. તે જ્યારે ખાય છે, કાંઇ બાકી રહેતું નથી. તેની સફળતા સતત રહેતી નથી. એ સિદ્ધિના શિખરે હશે ત્યારે જ આફતો તેને હંફાવશે. તેની આફતો સંપૂર્ણ શકિત પૂર્વક તેના ઉપર ઊતરી પડશે. જ્યારે તેનું પેટ તેને જે જોઇએ છે તેનાથી ભરાયું હશે, દેવ તેની સામે ભભૂકતા ક્રોધનો વરસાદ વરસાવશે. દેવ તેના પર સજાનો વડસાદ વરસાવશે. જો એ લોઢાની તરવારમાંથી છટકી જશે તો કાંસાનું બાણ એને વીંધી નાખશે. તેના પેટમાંથી બાણ આરપાર નીકળી જશે, અને પીઠમાંથી ભોંકાઇને બહાર આવશે. તેની ચળકતી ધાર તેના પિત્તાશયને વીંધી નાખશે. તે ભયથી આઘાત પામશે. તેનો ખજાનો અંધકારના ઊંડાણમાં ખોવાઇ જશે. પ્રચંડ અગ્નિ કે જેનો કોઇ માનવે આરંભ કર્યો નથી. તેના માલ સામાનનો નાશ કરશે અને તેનું જે કાંઇ બાકી છે તે સર્વ ભસ્મીભૂત થઇ જશે. આકાશ તેનો ગુનો ઉઘાડો પાડશે; પૃથ્વી એની વિરુદ્ધ સાક્ષી પૂરશે. જે દિવસે દેવનો પ્રકોપ ફાટી નીકળશે તે દિવસે ધસમસતાં પૂરમાં એનાં ઘરબાર તણાઇ જશે. દેવ દુષ્ટ લોકોને આ પ્રમાણે કરશે અને આ એજ છે જે તે તેમને આપવાની યોજના કરે છે.”